Saturday June 21, 2025

ખંભાળિયા: મોવાણના વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫

         ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા છગનભાઈ પ્રેમજીભાઈ અસવાર નામના 60 વર્ષના બ્રાહ્મણ વૃદ્ધને તેમના ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર શ્યામ છગનભાઈ અસવાર (ઉ.વ. 23) એ અહીંની પોલીસને કરી છે.

____________________________________________________________________________

ભાણવડમાં આધેડ મહિલા પર હુમલો: બે બંધુઓ સામે ફરિયાદ

        ભાણવડ તાલુકાના ભરતપુર ગામે રહેતા વેજીબેન ખીમાભાઈ એભાભાઈ આંબલીયા નામના 52 વર્ષના આહીર મહિલાની વાડીની બાજુમાં એક જ શેઢે વાડી ધરાવતા આરોપી વિનોદ ઉર્ફે વિનુ ભાયાભાઈ આંબલીયા અને હાર્દિક ભાયાભાઈ આંબલીયા નામના બે શખ્સોએ તેઓની વાડીના શેઢાને ખોદી નાખ્યા હતા. આરોપીઓએ અગાઉ પણ પોતાની વાડીના શેઢે ઘઉંના ભાઠા સળગાવ્યા હતા. જેથી ફરિયાદી વેજીબેનના વાડીના છેડે આવેલા લીમડાના ઝાડને થોડું નુકસાન થવા પામ્યું હતું.

       જેથી વેજીબેને આરોપી વિનોદ અને હાર્દિકને આવું ન કરવા જણાવ્યું હતું. જેથી આરોપીઓએ ઉશ્કેરાઈને લોખંડની ખપારી અને લાકડાના બડીકા વડે વેજીબેન તેમજ તેમના પતિ ઉપર હુમલો કરતા તેઓને શરીરના જુદા જુદા ભાગોમાં ઇજાઓ થવા પામી હતી.

        આટલું જ નહીં, આરોપીઓએ બીભત્સ ગાળો કાઢી તેઓના હાથ-પગ ભાંગી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસ મથકમાં બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

____________________________________________________________________________

ઓખામાં યુવાનનું બાઈક હંકારી જતા તસ્કરો

         ઓખાના બર્માસેલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા સાહિલભાઈ સુલેમાનભાઈ ભીખલાણી નામના 32 વર્ષના યુવાનની માલિકીનું રૂપિયા 35 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ ગત તા. 31 માર્ચના રોજ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાઈ છે.

____________________________________________________________________________

આથમણા બારાની યુવતી પર હુમલા સબબ પાંચ કૌટુંબિક શખ્સો સામે રાવ

      ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતી અને બળુભા હમીરજી જાડેજાની 21 વર્ષની પુત્રી કાજલબા સાથે માલઢોરનું છાણ ઉપાડવા જેવી બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા ગુલાબબા બળુભા જાડેજા, બળુભા મનુભા જાડેજા, દુજાજી મનુભા જાડેજા, અનકુંવરબા દુજાજી જાડેજા અને મયુરસિંહ બળુભા જાડેજા નામના પાંચ વ્યક્તિઓએ પાવડા તેમજ ઢીકાપાટુનો માર મારી, બિભત્સ ગાળો કાઢ્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે કાજલબા બળુભા જાડેજાની ફરિયાદ પરથી મહિલાઓ સહિત તમામ પાંચેય સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top