
– ડિમોલિશનની વહેતી અફવાઓ અંગે પ્રાંત અધિકારીની સ્પષ્ટતા –
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં તાજેતરમાં સ્થાનિક મામલતદાર દ્વારા ધાર્મિક સ્થળોની યાદી બહાર પાડીને આની સામે કાર્યવાહી કરવા અંગેની નોટિસ જાહેર કરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આ મુદ્દે સમગ્ર જિલ્લામાં ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે. આ પ્રકરણમાં રાજકીય આગેવાનોએ પણ આ બાબતને અનુલક્ષીને ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી હતી. ત્યારે આ નોટિસ મુદ્દે સરકારી તંત્ર દ્વારા પણ જરૂરી પ્રતિભાવ આપવામાં આવ્યો છે.
ખંભાળિયા તથા ભાણવડ તાલુકાના પ્રાંત અધિકારી કે.કે. કરમટાએ આ અંગે જણાવ્યું હતું કે ધાર્મિક દબાણો કે જે રસ્તામાં નડતરરૂપ હોય, તેના સંદર્ભમાં હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં લીટીગેશન થતા તેના સંદર્ભમાં ધાર્મિક સ્થળોને આ નોટિસ આપવામાં આવી છે. આ નોટિસો પછી આવા દબાણો તુરત તોડવામાં નહીં આવે, પરંતુ રસ્તાને નડતરરૂપ હોય તે ધાર્મિક સ્થળો અન્ય સ્થળે સ્થળાંતરિત થઈ શકે છે.
આ ઉપરાંત નડતરરૂપ ના હોય અને દબાણ હોય તો તે નિયમિત કરવા માટેની અરજી પણ થઈ શકે. તેમજ જો આવા ધાર્મિક સ્થળો પાસે કાયદેસરના દસ્તાવેજ હોય તો તે અંગેની રજૂઆતો અને આધારો પણ તંત્ર સમક્ષ રજૂ કરી શકે છે.
આમ, તંત્ર દ્વારા આ ધાર્મિક સ્થળોને સીધા જ તોડી પાડવાના નથી. આ મુદ્દે લોકોએ ખોટી અફવામાં ન આવવા પણ પ્રાંત અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)