Headlines

ડબ્બા ટ્રેડિંગના કેસમાં પોરબંદર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: તમામ આરોપીઓ બિનતહોમત મુક્ત

સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળના ગુનામાં સેસન્સ કોર્ટે પુરાવાના અભાવે આરોપીઓને છોડી મૂકવાનો આદેશ કર્યો

ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર

​પોરબંદરની પ્રિન્સીપાલ સેસન્સ કોર્ટે ડબ્બા ટ્રેડિંગના એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કેસમાં તમામ આરોપીઓને બિનતહોમત મુક્ત કરવાનો હુકમ કર્યો છે. સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ, ૧૯૫૬ હેઠળ નોંધાયેલા આ ગુનામાં કોર્ટે આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરતા પહેલા જ તેમને નિર્દોષ ઠેરવ્યા છે.

ઘટનાની વિગત અને પોલીસ કાર્યવાહી

​આ કેસની વિગત મુજબ, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ પોરબંદરના એસ.વી.પી. રોડ પર આવેલા કુબેર લેન્ડમાર્ક બિલ્ડીંગમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બિલ્ડીંગના બીજા માળે આવેલી ‘ગોલ્ડન એન્ટરપ્રાઇઝ’ અને ‘નવનીધિ એન્ટરપ્રાઇઝ એન્ડ દિશા ટ્રેડ લિંક’ નામની ઓફિસોમાં ગેરકાયદેસર શેર ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાની બાતમીના આધારે એલ.સી.બી.એ કાર્યવાહી કરી હતી.

​દરોડા દરમિયાન આ બંને ઓફિસોમાંથી સ્ટોક એક્સચેન્જ જેવું ગેરકાયદેસર સેટઅપ ઊભું કરી શેરની લે-વેચ કરવાના પુરાવા મળ્યા હોવાનો દાવો પોલીસે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી શેરના સોદાના હિસાબો, રોકડ રકમ, લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, નેટ ડોંગલ, પેન ડ્રાઈવ અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ બે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. પ્રથમ દરોડામાં ૧૬ વ્યક્તિઓ અને બીજા દરોડામાં ૮ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો.

કોર્ટ કાર્યવાહી અને બચાવ પક્ષની દલીલો

​પોલીસે તપાસના અંતે આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસની ટ્રાયલ ચલાવવાની સત્તા સેસન્સ કોર્ટ પાસે હોવાથી કેસને કમિટ કરવામાં આવ્યો હતો. આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ્સ શૈલેષ પરમાર, જય ઓડેદરા, નરેશ ઓડેદરા, કિશન દાસા અને કિશન રાણીંગાએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી.

​બચાવ પક્ષના એડવોકેટે દલીલ કરી હતી કે આરોપીઓ સામે ચાર્જફ્રેમ થઈ શકે તેવા પૂરતા પુરાવા નથી. પોલીસે રજૂ કરેલા દસ્તાવેજો અને મુદ્દામાલ આરોપીઓને ગુના સાથે જોડવા માટે અપૂરતા છે. આ સાથે જ નામદાર એપેક્ષ કોર્ટની વિવિધ ઓથોરિટીઓ અને કાયદાકીય જોગવાઈઓને ટાંકીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓ સામે કેસ ચલાવવા માટે કોઈ સચોટ આધાર નથી, તેથી તેમને ડિસ્ચાર્જ (બિનતહોમત મુક્ત) કરવા જોઈએ.

કોર્ટનો ચુકાદો

​પોરબંદરના પ્રિન્સીપાલ સેસન્સ જજ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને રેકોર્ડ પરના પુરાવાઓની ચકાસણી કર્યા પછી એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરવા માટે પૂરતા કારણો જણાતા નથી. પરિણામે, કોર્ટે બંને કેસના તમામ આરોપીઓને તેમના સામે ચાર્જફ્રેમ થયા પહેલા જ બિનતહોમત મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. આ ચુકાદાને પોરબંદરના કાયદાકીય વર્તુળોમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *