Saturday June 21, 2025

કેનેડામાં બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો દ્વારા સેવાયજ્ઞ સ્વરૂપે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો



નવ લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાતમંદ ભૂદેવો માટે એકત્ર થઈ


હરેશ જોષી, કેનેડા
કેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આશરે ૫૪ વર્ષ જૂની બ્રાહ્મણોની સંસ્થા “ બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો “ દ્રારા ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ શુક્રવારે સાંજે જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારોના આરોગ્ય અને શિક્ષણ માટે જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યનો કાર્યક્રમ યોજાયો હતો.

કેનેડામાં હાલ કડકડતી ઠંડી હોવા છતાં, ઈટોબીકોક ખાતે શ્રૃંગેરી બેન્કવેટ હોલમાં બ્રાહ્મણ ઉપરાંત અન્ય જ્ઞાતિના આશરે અઢીસો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગુજરાતના જરુરીયાતમંદ બ્રાહ્મણ પરિવારોને આરોગ્ય અને શિક્ષણલક્ષી સહાય કરવાનાં શુભાશયથી યોજાયેલા આ સેવાયજ્ઞમાં જગદીશ ત્રિવેદીએ પોતાની આગવી શૈલીમાં લોકોને મોડી રાત સુધી હાસ્ય, લોકસાહિત્ય તેમજ દેશભક્તિની વાતો વડે રસતરબોળ કર્યા હતા. તેમજ તેમની હદયસ્પર્શી વિનંતીથી દાન તેમજ સ્પોન્સરશીપ અને ટિકિટોના વેચાણથી આશરે ૧૮૮૮૦ ડોલર જેટલી માતબર રકમ એકત્ર થઈ હતી. જેમાં આશરે ૩૮૮૦ ડોલર જેટલો ખર્ચ બાદ કરતાં કુલ ૧૫૦૦૦ ડોલર એટલે કે આશરે ૯,૦૦,૦૦૦ (નવ લાખ રૂપિયા) જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાતમંદ ભૂદેવો માટે એકત્ર થઈ હતી.

આ સંસ્થાના નિષ્ઠાવાન પ્રમુખ શ્રીમતી બિન્દુબહેન પુરોહીત અને એમની આખી ટીમ વડે ખૂબ જ સુંદર આયોજન થયું હતું.

છેલ્લે સૌ રાષ્ટ્રગીત ગાઈ સેવાનાં સંતોષ સાથે કાર્યક્રમની મધુર યાદો લઈ વિદાય થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top