
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫
સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા દ્વાદર્શ જયોર્તિલિંગ નાગેશ્વર મંદિર ખાતે આજરોજ મહાશિવરાત્રિના હરી અને હરના ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો.
દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે શિવરાત્રીના પવન પર્વ નિમિત્તે સ્થાનિક ભક્તો ઉપરાંત પ્રવાસીઓ પણ મહાદેવ દૂધ અને જલથી અભિષેક કરી, બિલ્વ પત્ર ચડાવી શિવને પ્રસન્ન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
જાણીતા કલાકાર ગુલશનકુમાર દ્વારા બનાવાયેલી 85 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા જોઈને સૌ કોઈ પ્રભાવિત થયા હતા. આશરે 5500 વર્ષ જૂના આ મંદિરનો ગુલશન કુમાર દ્વારા જીર્ણોદ્ધાર કર્યા બાદ વધુ વિખ્યાત બન્યું છે. આ મંદિરે શિવ ભક્તોએ સવાર થી જ લાઈનો લગાવી હતી.
સમગ્ર શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અને વર્ષમાં એક જ વખત આજના દિવસે આ જયોર્તિલિંગના દ્વાર 24 કલાક ખુલ્લા રાખવામાં આવે છે. આખી રાત મહાપૂજા સાથે ચાર પહોરની આરતીના દર્શન માટે ભાવિકો ઉમટી પડે છે. તેમ સ્થાનિક પૂજારીએ જણાવ્યું હતું.
સ્થાનિક ભક્તો ઉપરાંત યાત્રાધામ દ્વારકામાં આવેલા મોટી સંખ્યામાં પ્રવાસી ભક્તો આજે હરી અને હર બન્નેના દર્શનનો બેવડો લાભ મેળવી ધન્ય થયા હતા. દિવસભર ભગવાન શિવના ભક્તો આ કૃષ્ણ સ્થાપિત શિવલિંગ પર દૂધ અને જલનો અભિષેક કરવા લાઈનોમાં ઉભા રહીને પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી.